"સતત બીજીવાર ICT SRG બનવા બદલ આપ સૌનો આભાર..."

Wednesday 10 January 2018

પ્રેરણાદાયક લેખ : તા : ૧૦-૦૧-૨૦૧૮ અને બુધવાર


કામ પ્રત્યેની નિષ્ઠા એ પ્રભુનો રાજીપો
બે મિત્રો હતા. જિગરજાન મિત્રો. બંનેને એકબીજા વગર ન ચાલે એવા મિત્રો. પણ એક મિત્ર આસ્તિક હતો અને બીજો નાસ્તિક. આસ્તિક એ અર્થમાં કે એ ઈશ્વરના અસ્તિત્વ પર વિશ્વાસ રાખનારો હતો. પરમાત્માના સર્વોપરિપણાને સ્વીકારનારો હતો અને ધાર્મિક ક્રિયાકાંડમાં માનનારો હતો. નાસ્તિક ધાર્મિક ક્રિયાકાંડનો તો વિરોધી હતો જ પરંતુ ઈશ્વરના અસ્તિત્વને પણ એ માનતો ન હતો.
આસ્તિક મિત્રનો એક દૈનિક ક્રમ હતો. એ રોજ સવારે ભગવાન ભોળાનાથના મંદિરે જતો અને ત્યાં દીવો પ્રગટાવીને આંખો બંધ કરીને ભગવનને પ્રાર્થના કરતો. બસ એની આ આંખ બંધ કરવાના સમયનો પેલો નાસ્તિક મિત્ર લાભ લેતો અને હળવેકથી ફૂંક મારીને દીવાને ઓલવી નાખતો. આસ્તિક દીવો પ્રગટાવે અને એ જ સમયે પેલો નાસ્તિક મિત્ર આવીને દીવાને ઓલવી નાખે. આ હવે નિત્યક્રમ બની ગયો હતો.
ચોમાસાના દિવસોમાં એકવાર વહેલી સવારે ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો. વરસાદ બંધ થવાનું નામ નહોતો લેતો. આસ્તિક મિત્ર નાહીધોઈને મંદિર જવા માટે તૈયાર થયો. પણ બહાર અનરાધાર વરસતા વરસાદને જોઈને વિચારે ચડ્યો, “આવા વરસાદમાં મંદિરે જઈશ તો પણ પેલો નાસ્તિક આવીને મારો પ્રગટાવેલો દીવો ઓલવી નાખશે. એના કરતા આજે મંદિરે જવાનું જ ટાળું, રહી વાત પ્રાર્થાનાની તો એ ઘેર બેઠા બેઠા પણ થઈ જ શકે.”
એણે મંદિરે જવાનું ટાળ્યું. બીજી બાજુ આવા વરસાદી માહોલમાં પણ પેલો નાસ્તિક મિત્ર તો પોતાનું દીવો ઓલાવવાનું કામ કરવા માટે હાજર થઈ ગયો હતો અને પોતાના મિત્રની આવવાની રાહ જોઈ રહ્યો હતો. ઘણો સમય થયો તો પણ એનો મિત્ર આવ્યો નહીં. એટલે મિત્ર વતી એણે જ દીવો પ્રગટાવ્યો અને પોતે ફૂંક મારીને ઓલવી નાખ્યો.
બસ આ જ ક્ષણે ભગવાન શિવ પ્રગટ થયા અને પેલા નાસ્તિક માણસને આશીર્વાદ આપ્યા. નાસ્તિક તો વિચારમાં પડી ગયો. એણે ભગવાનને કહ્યું, “પ્રભુ, હું તો આપને માનતો પણ નથી. મને આપના અસ્તિત્વમાં પણ કોઈ વિશ્વાસ નથી ઊલટાનું આપનો ભક્ત રોજ જે દીવો પ્રગટાવે છે એને ઓલવી નાખું છું આમ છતાં આપે મને કેમ દર્શન દીધા ? દર્શનનો અધિકારી તો મારો આસ્તિક મિત્ર છે.”
ભગવાને હસતાં હસતાં કહ્યું “તું ભલે નાસ્તિક રહ્યો, પણ કામ પ્રત્યેની તારી નિષ્ઠા મને ખૂબ પસંદ આવી. વરસાદ જોઈને મારા કહેવાતા ભક્તએ મારી પાસે આવવાનું માંડી વાળ્યું પણ રોજ દીવો ઓલવવાનું તારું કામ કરવા માટે તું સમયસર હાજર જ હતો.”
પરમાત્માની કૃપાથી જે કામ કરવાની તક મળી હોય એ કામ પૂરી નિષ્ઠાથી નિભાવીએ એમાં પણ પ્રભુ રાજી જ હોય છે. હું આદર્શ ડોક્ટર, વકીલ, સીએ, ઈજનેર, શિક્ષક, વેપારી, ઉત્પાદક, અધિકારી કે કર્મચારી બનીને પૂર્ણ સમર્પણ સાથે ફરજ બજાવું તો એ પણ પ્રભુના રાજીપાનું સાધન જ છે.

3 comments: