ગુસ્સા પર સંયમ
ચમત્કાર તો તમે પણ કરી જ શકો છો ..!
એક માણસ બૅન્કમાં ગયો. પોતાના અકાઉન્ટમાંથી થોડીક રકમ ઉપાડવા માટે સેલ્ફનો ચેક લઈને તે કાઉન્ટર પાસે ઊભો રહ્યો.
એ વખતે કૅશિયર થોડે દૂર સ્ટાફના બીજા મિત્રો સાથે ટોળટપ્પાં કરવામાં બિઝી હતો. પંદર-વીસ મિનિટ સુધી પેલો માણસ રાહ જોતો રહ્યો. તે મનમાં અકળાઈ રહ્યો હતો : કૅશિયર કેવો બિનજવાબદાર છે ! દૂરથી તેને કાઉન્ટર પાસે ઊભેલો આ માણસ દેખાતો હતો છતાં તેને કશી પરવા નહોતી. ડ્યૂટી-અવર્સ દરમ્યાન સ્ટાફમિત્રો ગપ્પાં મારીને ક્લાયન્ટને હેરાન કરે એ નિયમવિરુદ્ધ હતું.
પેલા માણસનો રોષ વધતો જતો હોવા છતાં તે ખામોશ રહ્યો. તેણે વિચારી લીધું કે આ કૅશિયરને અવશ્ય પાઠ ભણાવવો પડશે. એ દિવસે પૈસા લઈને તે કશું જ બોલ્યા વગર ઘરે પાછો આવ્યો. પછી તેણે કૅશિયરના નામે બૅન્કના સરનામે એક સાદો પત્ર લખ્યો. એ પત્રમાં કોઈ પણ પ્રકારનો રોષ ન આવી જાય એની તેણે ચીવટ રાખી.
તેણે માત્ર એટલું જ લખ્યું હતું, ‘ગઈ કાલે હું મારા સેવિંગ્સ અકાઉન્ટમાંથી રકમ ઉપાડવા બેન્કમાં આવ્યો ત્યારે તમે તમારા સ્ટાફમિત્રો સાથે કશીક અગત્યની ચર્ચામાં મગ્ન હતા, છતાં મને માત્ર પચ્ચીસ મિનિટમાં જ રકમ મળી ગઈ. બીજી કોઈ બેન્કમાં મારે આ કામ કરાવવાનું હોત તો ત્યાંના કૅશિયરની બેફિકરાઈ અને બિનજવાબદારપણાને કારણે મારે ઘણો વધારે સમય કદાચ રાહ જોવી પડી હોત. તમે ચર્ચા અધૂરી મૂકીને આવ્યા અને મને રકમ આપી એમાં તમારી નિષ્ઠા અને સદ્ભાવ મને દેખાયાં. હું તમારો આભાર માનું છું અને તમારી ફરજ નિષ્ઠાને બિરદાવું છું.’
પોતાનું નામ, અકાઉન્ટ નંબર વગેરે લખ્યાં, પછી પત્ર પોસ્ટ દ્વારા મોકલી આપ્યો.
એકાદ અઠવાડિયા પછી આ માણસ બૅન્કમાં ગયો ત્યારે પેલો કેશિયર ખૂબ ગળગળો થઈને તેને ભેટી પડ્યો, પોતાની બેદરકારી માટે માફી માગી અને ફરીથી કોઈની સાથે એવી બિહેવિયર નહિ કરવાની ખાતરી ઉચ્ચારી.
ગુસ્સે થઈને ગાળો બોલી શકાય, તેનું ઈન્સલ્ટ કરી શકાય, તેને નિયમો અને કાનૂન વિશે મોટા અવાજે વાત કરીને ઉતારી પાડી શકાય, થોડીક વાર માટે પોતાનો રુઆબ બતાવી શકાય, ત્યાં ઊભેલા અન્ય અજાણ લોકો ઉપર વટ પાડી શકાય; પણ આ બધું કર્યા પછીયે કૅશિયરને સુધારી શકાયો ન હોત. કદાચ તે વધુ બેફામ અને બેદરકાર એટલે કે નફ્ફટ થઈ ગયો હોત. પણ આ સફળ ઉપાય હતો.
Excellent
ReplyDelete