"સતત બીજીવાર ICT SRG બનવા બદલ આપ સૌનો આભાર..."

Wednesday 28 February 2018

પ્રેરણાદાયક લેખ : તા - ૨૮/૦૨/૨૦૧૮ અને બુધવાર

પૌત્રના શબ્દોએ...
સાવરકુંડલામાં પગ મૂક્યો ત્યારથી એક કુટુંબ સાથે મારે પરિચય. શરૂઆતમાં એ કુટુંબની સ્થિતિ સારી નહિ. નબળી આર્થિક પરિસ્થિતિને કારણે એક સાંધે ત્યાં તેર તૂટે. તેમને પાંચ પુત્રો. મુશ્કેલીઓ વેઠીને પણ તેમણે તેમને ભણાવ્યા. એક પછી એક દીકરા નોકરીએ લાગી ગયા. એક-એક પરણતા ગયા તેમ જુદું ઘર રાખીને રહેતા થયા. બહેન તો પુત્રવધૂઓની સુવાવડ એક પછી એકને ત્યાં આવ્યા કરે એટલે સતત કામમાં રહેતાં. તેમને નિરાંત ન મળે. મોટો દીકરો થોડો લાંબો સમય મા-બાપ પાસે રહ્યો એટલે તેના પૌત્રને દાદા-દાદીની વધારે માયા લાગેલી.
એક સમય એવો આવ્યો કે મા-બાપને એકલા રહેવાનું થયું. મા-બાપે તો એક નાના ઘરમાં પાંચ બાળકોને ઉછેરીને મોટા કર્યા હતા, પરંતુ એક પણ દીકરાને મા-બાપને રાખવા માટે જગ્યા ન હતી. બંનેની ઉંમર 65 વટાવી ચૂકેલી અને બહેનને ડાયાબિટીસ તથા લોહીના દબાણનું દર્દ એટલે ખાસ કોઈ કામ કરી શકે નહિ. તેઓ નાના એવા પેન્શનમાં અને એક રૂમ ભાડે આપેલી, તેમાંથી ગુજરાન ચલાવતાં. કોઈકોઈ વાર મારી પાસે આવી હૈયાવરાળ ઠાલવતાં. પેન્શનમાંથી પૂરું થતું નહિ એટલે મકાન વેચવા સુધી વાત આવી ગઈ. તેમને સમજાવ્યા કે દીકરાઓને તમારી મુશ્કેલીઓ સમજાવો. મકાન કાઢી નાખવા માટે પણ તેમની સંમતિ લેવી જરૂરી. દીકરાઓ બધા એકંદરે સારા અને આગળ પડતા, પરંતુ કોઈ કારણસર કોકડું ગૂંચવાયેલું, જે ઉકેલાતું ન હતું. તેમાં એક ઘટના બની. તેમના એક પુત્રને અસાધ્ય રોગ લાગુ પડ્યો. બધા ભાઈઓ, મા-બાપ સૌ ઊભા પગે સારવાર કરે. બધા ભાઈઓ પોતાના ભાઈ માટે ઘણા ઘસાયા. અનેક વખત બહાર શહેરમાં પણ લઈ ગયા પરંતુ એક દિવસ તેનો જીવનદીપ બુઝાઈ ગયો.
મા-બાપ સાથે દરેક દીકરાને નાની-મોટી કડવાશ પણ થઈ હશે તેવું તેમની વાતો પરથી લાગતું હતું. દીકરાના મૃત્યુ પછી એક દિવસ સૌ ભેગાં થયાં. ત્યારે માતા-પિતાએ વાત મૂકી કે અમારા માટે તમે સૌ વિચારો. અમારે શું કરવું ? એકલા રહી શકાય તેવી પરિસ્થિતિ રહી નથી. કોઈ જવાબદારી સ્વીકારવા તૈયાર નહોતું. કોઈને તેમનું ઘર નાનું પડતું હતું, તો કોઈને તેમના સ્વભાવ સાથે અનુકૂળતા ન હતી. દરેક પુત્રે કોઈ ને કોઈ બહાનું બતાવી સાથે રાખવાની અસંમતિ દર્શાવી. કુટુંબ જ્યારે મળ્યું ત્યારે પૌત્રો-પૌત્રીઓ પણ ત્યાં બેઠાં હતાં. મોટાભાઈનો પુત્ર જે 25 વર્ષનો હતો અને પરણેલો હતો તે ઊભો થયો. તેણે તેના પિતાશ્રીને સંબોધતાં કહ્યું કે, ‘બાપુજી, હવે તમે પણ રીટાયર થવાની તૈયારીમાં છો તો મારે તમને મારી સાથે નહિ રાખવાનાને ! દાદીમાએ મને ઘણું હેત આપ્યું છે. તેઓ અમારી સાથે રહેશે, તેમને એકલા રહેવા નહિ દઉં.’
સૌનાં નેત્રો ખૂલી ગયા. દરેકની આંખમાંથી અશ્રુઓનો ધોધ શરૂ થયો. વારાફરતી છ-છ મહિના માતા-પિતાને રાખવાનો સહુએ ત્યાં જ નિર્ણય કર્યો. માતા-પિતાના નાના ઘરમાં પાંચ પુત્રો રહી શકે, પરંતુ પાંચ પુત્રોના બંગલામાં માતા-પિતાને સ્થાન નથી, એવું વિધાન ઉમાશંકર જોશીએ ક્યાંક કરેલું છે. એક યુવાન પૌત્રના શબ્દોથી તેમ થતાં રહી ગયું. સૌ આનંદથી છૂટાં પડ્યાં. પછી તો વારતહેવારે પુત્રો-પુત્રવધૂઓ મા-બાપ જ્યાં હોય ત્યાં ભેગાં મળતાં અને આનંદ કરતાં. સૌએ તેમને જાત્રા પણ કરાવી અને સમય જતાં બંનેએ શાંતિથી તેમનું જીવન સંકેલી લીધું.

1 comment: